Home > Know Jainism > 15 . શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ
Jainonline.org
• 26-May-2025
15 . શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથ
88
.jpg)
પ્રથમ નજરે પ્રતિમા દર્શન
ચંદ્રના પ્રકાશને વૃદ્ધિ હાનિની વિટંબણા છે. શુભ્રવર્ણા આ સ્વામી તો સદાય પૂર્ણ છે. ચંદ્ર તો કલકથી યુકત છે. પાષાણનાં આ પ્રતિમાજી નિષ્કલંક છે. ચંદ્રને તો અસ્તની વેદના છે. ૨૨ ઈંચ ઊંચા આ અરિહંત તો અહોનિશ ઉદયાકર છે. ચંદ્રને તો ગ્રહણના દારૂણ દુ:ખ છે. ૧૬ ઈંચ પહોળા આ પ્રભુજી તો શાશ્વત સુખનો સાગર છે. ચિંતામણિ રત્ન તો ચિંતિતનો જ દાતાર છે. સપરિકર આ સ્વામી અચિન્ત્ય ચિંતામણિ છે. પરિકરમાં સાત ફણાથી યુકત આ પરમેશ્વર સોમ અને ચિંતામણિ બન્નેથી અધિક છે.
અતીતનાં ઊંડાણમાં એક ડૂબકી —
ઈતિહાસની જાજરમાન કેડી પર પસાર થઈને આજ સુધી પહોંચેલા ખંભાત પાસે ગૌરવવંતા ભૂતકાળના મોહક સંસ્મરણોની મબલખ મૂડી છે. એક મહત્ત્વના બંદર તરીકેની ભૌગોલિક પરિસ્થિતિએ ખંભાતના વિકાસમાં ફાળો આપ્યો. ગુજરાતનું એક મહત્ત્વનું બંદર બનેલા ખંભાતનો ધીકતો બંદરી વૈપાર તેની જાહોજલાલીનું પ્રતીક હતો.
શ્રી અભયદેવ સૂરિએ “શ્રી જયતિહુઅણસ્તોત્ર" દ્વારા શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની અલૌકિક પ્રતિમાં પ્રગટ કરી. ચૌદમા સૈકામાં આ પ્રતિમા ખંભાત લાવવામાં આવી અને ભવ્ય જિનપ્રાસાદમાં આ પ્રભુને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા ત્યારથી ખંભાત નગરી એક તીર્થભૂમિના ગૌરવને પામી.
પ્રાચીન ગ્રન્થોનાં પાનાંઓ પર વિવિધ નામોને પરિધાન કરીને આ નગર એક અજબ આકષર્ણ ઊભું કરે છે. ત્રંબાવતી. ભોગાવતી. લીલાવતી. કનકાવતી, રૂપવતી, અમરાવતી, ખંભાવતી, સ્તમ્ભતીર્થ, સ્તમ્ભન સ્તમ્ભનપુર ખંભનયરી, થંભતીરથ થંભનપુર જેવાં નામોને ધારણ કરી ચુકેલું ખંભાત અંગ્રેજીમાં 'કેમ્બે’નામથી ઓળખાય છે. સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં રાજ્યશાસકોની રહેમનજર આ નગરી પર રહી અને શ્રીમંત શ્રેષ્ઠીઓએ અપૂર્વ ઔદાર્ય દાખવીને મનોહર જિનમંદિરોનાં નિર્માણ કરાવ્યાં અને તેથી નગરીની રોનક ખીલી ઊઠી. પ્રભુ વીરની પરંપરામાં થયેલા અનેક સમર્થ આચાર્ય ભગવંતોનાં અહીં સતત આવાગમન થતાં રયાં. અહીં રહીને તેમણે શાસન પ્રભાવનાનાં મહાન સુકૃતો કર્યા અઢળક આકર ગ્રન્થોનાં સર્જન પણ અહીં થયાં.
અનેક ભવ્ય અને પ્રભાવક જિનબિંબોના પ્રતિષ્ઠાપનથી આ નગરી પવિત્ર બની શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી વિજયચંદ્ર, શ્રી સિંહતિલક સૂરિ શ્રી મહેન્દ્ર સૂરિ શ્રી જયકીર્તિ સૂરિ શ્રી જયકેસર સૂરિ શ્રી જિનચંદ્ર સૂરિ શ્રી જિનોદય સૂરિ શ્રી રત્નસિંહ સૂરિ શ્રી રત્નશેખર સુરિ.શ્રી મુનિસુંદર સૂરિ શ્રી સિદ્ધાંત સાગર સૂરિ શ્રી ભાવસાગર સૂરિ,શ્રી ગુણનિધાન સૂરિ શ્રી ધર્મમૂર્તિ સૂરિ શ્રી કલ્યાણ સાગર સૂરિ શ્રી અમરસાગર સૂરિ શ્રી હીરવિજય સૂરિ શ્રી વિજયસેન સૂરિ શ્રી વિજય તિલક સૂરિ શ્રી વિજયાનંદ સૂરિ શ્રી હેમવિમલ સૂરિ શ્રી સોમવિમલ સૂરિ શ્રી આણંદ વિમલ સૂરિ શ્રી વિજય દેવસૂરિ શ્રી અમરચંદ્ર સૂરિ શ્રી રાજચંદ્ર સૂરિ શ્રી વિમલચંદ્ર સૂરિ શ્રી જયચંદ્ર સૂરિ શ્રી મુનિચંદ્ર સૂરિ શ્રી લક્ષ્મી સાગર સૂરિ, શ્રી વિજ્ય વલ્લભ સૂરિ શ્રી વિજય લબ્ધિ સૂરિ શ્રી વિજય પ્રેમ સૂરિ શ્રી વિજય નેમિ સૂરીશ્વરજી આદિ સમર્થ અને પ્રભાવક સૂરિપુંગવો અને મહાન મુનિ પુંગવોએ અહીંના જૈનોને ધર્મના ધાવણ પાયાં અને અહીં રહીને શાસન પ્રભાવનાનાં ચિરંજીવ સુકૃતો કરી ખંભાતને અમર બનાવ્યું.
ઉદયનમંત્રી, સજજન મંત્રી પરમાર્હત કુમારપાળ મંત્રીશ્વર વસ્તુપાલ સુબો જયંતસિંહ. આદિ મહાપુરુષોનાં કૌશલ્ય કુનેહ અને સત્તાના સુંદર લાભ ખંભાતને સાંપડયા.
સાહણપાલ, સાજણી શેઠ, ભીમશ્રાવક, શાણરાજ, રત્નપાલ દોશી, સંઘવી ઉદયકરણ અભયરાજ, રાજા શ્રીમલ્લ જસરાજ કુંઅરજી ગાંધી, ઠકકર કીકો, શાહ વાઘજી, તેજપાલ સોની પારેખ રાજીઆ વાજીઆ સોમજી શાહ. શેઠ પોપટભાઈ અમરચંદ, શેઠ કસ્તુરભાઈ અમરચંદ આદિ શ્રીમંત શ્રેષ્ઠીઓએ ઉદાર હસ્તે લક્ષ્મીનો સદ્વ્યય કરી ખંભાતની રોનક અને શાન વધાર્યા.
આવી ગૌરવાસ્પદ પ્રતિભાને ધરાવતું ખંભાત આજે પણ ગુજરાતનું ગૌરવ છે. વર્તમાનમાં પણ અનેક ભવ્ય જિનાલયોથી આ નગરી વિભૂષિત છે.
સંઘવીની પોળમાં શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથનું મનોહર જિનાલય મનનું રંજન કરે છે. અંતરના ઓરડામાં સૌમ્યતાનો શીતલ પ્રકાશ પાથરતા આ પ્રભુજીનું 'શ્રી સોમ ચિંતામણિ' નામ સાર્થક છે.
આ પ્રાચીન જિનાલયનો જીર્ણોદ્વાર થતાં સં. ૧૯૯૦ માગશર સુદ ૧૧ સોમવારે પુન: પ્રતિષ્ઠા થઈ
આ જિનાલયમાં પદ્માવતી દેવીની મૂર્તિ ચમત્કારિક છે તેથી આ જિનાલય “ પદ્માવતીના દેરા”તરીકે પ્રસિદ્ધિ પામેલું છે.
સંઘવીની પોળમાં બીજું શ્રી વિમલનાથ પ્રભુનું પણ પ્રાચીન જિનાલય છે.
પ્રાચીનતાનાં પુરાવા
સં. ૧૬૫૫માં રચાયેલી શ્રી પ્રેમ વિજય કૃત "૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા'માં શ્રી પાર્શ્વપ્રભુના આ નામની પણ ગૂંથણી કરવામાં આવી છે.
સં. ૧૬૫૬માં રચાયેલા શ્રી નયસુંદર કૃત “શ્રી રાંખેશ્વર પાર્શ્વનાથ છંદ'માં સુરૂપ એવા શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વનાથને પ્રણામ કરવામાં આવ્યા છે.
સં. ૧૬૬૫માં મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજયજી ગણિવરના શિષ્યે રચેલા 'શ્રી ભટેવા પાર્શ્વનાથ સ્તવન'માં શ્રી પાર્શ્વપ્રભુના આ નામનો પણ ઉલ્લેખ છે.
સં. ૧૬૮૯માં મુનિ શ્રી ગુણવિજયજીના શિષ્યે રચેલા ૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં પણ આ નામનો ઉલ્લેખ છે.
શ્રી રત્નકુશલ કૃત “શ્રી પાર્શ્વનાથ સંખ્યા સ્તવન"માં પણ શ્રી પાર્શ્વપ્રભુના આ નામની ગણના કરવામાં આવી છે.
સં. ૧૭૨૧માં ગૂંથાએલી શ્રી મેઘવિજય ઉપાધ્યાય કૃત "શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં સોમ ચિંતામણિ નામ પણ ગ્રંથિત થયેલું છે.
સં. ૧૮૮૧માં ઉત્તમ વિજયે ગાયેલા શ્રી પાર્શ્વપ્રભુનાં ૧૦૮ છંદમાં પણ શ્રી પાર્શ્વપ્રભુના આ નામનો ઉલ્લેખ થયેલો છે.
પ્રભુનાં ધામ અનેક -
શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ ખંભાત સંઘવી પોળમાં આવેલું છે. તદુપરાંત શાન્તાક્રુઝ (મુંબઈ) શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ શ્રી સામ ચિંતામણિ પાર્શ્વનાથજી બિરાજમાન છે.
પ્રભુનાં ધામની પિછાણ—
ખંભાતનાં જિનાલયો સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. તે જિનાલયોમાં બિરાજમાન મનોહર બિંબોની ભવ્યતા દર્શકને મુગ્ધ કરે છે. આ જિનાલયોને જુહારતાં હૈયે હર્ષ ઊભરાય છે. ખારવાડાના શ્રી સ્તંભંન પાર્શ્વનાથ જિનાલય તથા શ્રી સીમંધર સ્વામી જિનાલય, ધીમટીમાં શ્રી મહાવીર સ્વામી જિનાલય, સાગોટા પાડામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય તથા જીરાળાપાડામાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય અતિ ભવ્ય છે. આ પ્રાચીન જિનાલયોથી જુદું તરી આવતું ચોવીસજિનનું નૂતન જિનાલય બસ-સ્ટેન્ડ પાસે નિર્મિત થયું છે. તેના ભોંયરામાં ૯૬ જિનની પ્રતિમાઓ બિરાજમાન છે. ખેડા જિલ્લામાં આવેલું આ તીર્થ ખંભાત રેલવે સ્ટેશનથી ૧.૫ કી.મી. દૂર વડોદરાથી ખંભાત તીર્થ ૮૦ કી.મી. દૂર છે. સોજીત્રા માતર, ખેડા, કલીકુંડ વ તીર્થો નિકટમાં છે. ધર્મશાળા ભોજનશાળાની સુવિધાઓ સુલભ છે.