Home > Know Jainism > 25 . શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ
Jainonline.org
• 6-Jun-2025
25 . શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ
4

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
શ્વેત પાષાણના શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથજીના મસ્તકે કૃણા નથી. ૨૭ ઈંચ ઊંચા આ મનોહર પ્રતિમાજીની પહોળાઈ ૩૧ ઈંચ છે. આ પ્રભુજી પદ્માસને બિરાજમાન છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
સૈકાઓથી તીર્થ તરીકે સુખ્યાતિ પામેલું મોટા પોસીના તીર્થ આજે ચાર મનોહર જિનાલયોથી વિભૂષિત છે.
આ. શ્રી સોમસુંદરસૂરિ જૈન શાસનના એક જ્યોતિર્ધર આચાર્ય થયા. અમૃત ઝરતી જિનવાણીના પાન કરાવીને હજારોનાં હૈયામાં તેમણે અધ્યાત્મના રંગો પૂર્યા. ઠેર ઠેર શાસન પ્રભાવનાના. મહાન સુકૃતો કરાવી જૈનધર્મનો જયધ્વજ લહેરાવ્યો હતો. પ્રભુ વીરની પરંપરામાં થયેલા આ એક સમર્થ આચાર્ય હતાં. ગૌતમ સ્વામીની જેમ અપાર, આદરથી સહુ તેમને નિહાળતા.
‘સાધુ તો ચલતા ભલા' એ ન્યાયે આ સૂરિદેવ મોટા પોસીના ગામે પધાર્યા. ત્યાં ગોપાલ નામનો શ્રેષ્ઠી ઔદાર્ય અને જિનભકિતના ગુણોથી સુયશનો સ્વામી બનેલો હતો. પૂ. આચાર્ય ભગવંતના મુખેથી કલ્યાણકારી વાણીનું શ્રવણ કરી તેનું અંતર પુલકિત બન્યું એક મનોહર જિનપ્રાસાદથી પોતાના વતનની ભૂમિને વિભૂષિત કરવાના મંગલ મનોરથો તેના અંતરમાં પ્રગટયા. પોતાના મનોરથોને પૂર્ણ કરવા તેણે બે મંડપથી યુક્ત ભવ્ય જિનપ્રાસાદનું નિર્માણ કરાવ્યું
અંતરમાં ઉદભવેલું એક શમણું એક દિવ્ય જિનપ્રાસાદ રૂપે મૂર્તિમંત બન્યું. આ ભવ્ય જિનપ્રાસાદમાં તેની પત્ની અહિવદેવી અને પુત્રીએ સં ૧૪૭૭માં પૂ. આચાર્યદેવ શ્રીસોમસુંદરસૂરિના હસ્તે શ્રી પાર્શ્વનાથ પ્રભુના મનોહર જિનબિંબને પ્રસ્થાપિત કર્યું.
મંગલ મુહૂતે મંદિરની પ્રતિષ્ઠા તો થઈ ગઈ પણ તુરત જ એક વિઘ્ન ઉપસ્થિત થયું અચાનક અગ્નિ પ્રજવલિત થયો અને નૂતન ભવ્ય જિનાલય તેમાં ભરખાઈ જશે. તેવો ભય સેવાવા લાગ્યો. પણ ત્યાં જ ચમત્કાર થયો. અચાનક પ્રગટેલો અગ્નિ કાંઈ પણ નુકસાન કર્યા વગર અચાનક ઉપશાંત થઈ ગયો. આ પ્રભુના પ્રભાવથી અગ્નિનાં વિઘ્નનો અપહાર થયો. તેથી લોકોના મુખેથી નામ સરી પડયું "શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ.”
રાજા સાયરે આ મંદિરના નિભાવ માટે એક વાડી ભેટ ધરી હતી. પૂ. સૂરિદેવના ઉપદેશથી માંડણ નામના શ્રેષ્ઠીએ સં. ૧૪૮૧માં શ્રી પાર્શ્વનાથ જિનાલયમાં એક દેવકુલિકાનું નિર્માણ કર્યું હતું.
અર્જુન નામના શ્રેષ્ઠિએ પૂ. સોમસુંદરસૂરિના વરદ હસ્તે સં. ૧૪૯૧ના માગશર વદ ૪ને રવિવારે પુષ્યાર્કમાં ભગવાન ઋષભદેવની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી હતી.
માંડણ શ્રેષ્ઠીએ સં. ૧૪૮૧માં તેજ આચાર્ય ભગવંતના હસ્તે પોસીનામાં ભગવાન શાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી.
આ ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. તેના મૂળનાયક નીચે સં. ૧૨૮૧નો લેખ ઉત્કીર્ણ છે.
શ્રી નેમિનાથ પ્રભુનાં મંદિરમાં મૂળનાયક નીચે સં. ૧૮૮૮નો લેખ ઉત્કીર્ણ છે.
ગામમાં ચોથું શ્રી મહાવીર સ્વામીનું પણ જિનાલય છે. સત્તરમાં સૈકામાં આચાર્યશ્રી વિજયદેવસૂરિ શ્રી આરાસણ વગેરે તીર્થોની યાત્રા કરતા પોસીનાપુરમાં પધાર્યા ત્યારે શ્રાવકોને ઉપદેશ આપી તેમણે અહીંનાં પાંચ જિનપ્રાસાદોનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથનું બીજું નામ “શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ છે.”
પ્રાચીનતાના પુરાવા—
શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય પં ચારિત્રરત્ન ગણિવરે શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ જિનપ્રાસાદની ૨૮ શ્લોકની પ્રશસ્તિ રચી છે. તેના આધારે આ જિનપ્રાસાદનો ઈતિહાસ પ્રાપ્ત થાય છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના છંદોમાં વિઘ્નાપહાર નામ મળતું નથી પણ વિઘ્નહરા નામનો ઠેક ઠેકાણે ઉલ્લેખ છે. તે ઉલ્લેખોની નોંધ આ ગ્રન્થમાં અન્યત્ર થયેલી છે.
શ્રી વિજયદેવસૂરિના ઉપદેશથી અહીંના જિનપ્રાસાદોના જીર્ણોદ્વારનો ઉલ્લેખ એક પટ્ટાવલી ગ્રન્થમાંથી મળે છે.
પ્રભુનાં ધામ અનેક–
શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથનું એક માત્ર તીર્થ મોટા પોસીના છે. આ પાર્શ્વનાથનું બીજું નામ શ્રી વિઘ્નહરા પાર્શ્વનાથ છે. તે નામનાં બીજાં તીર્થોની નોંધ આ ગ્રન્થમાં અન્યત્ર થયેલી છે. પ્રભુનાં ઘામની પિછાણ—
ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી ૪૦ કી.મી. દૂર આવેલું મોટા પોસીના તીર્થ પાંચ જિનાલયોથી વિભૂષિત છે. બસ સ્ટેન્ડથી તીર્થ ફકત ૨૦૦ મીટર દૂર છે. મોટા પોસીનાથી પાંચેક માઈલ દૂર એક સુંદર ડુંગર છે. તે ઓળંગીને રોહીડા (રાજસ્થાન)માં જઈ શકાય છે. અહીંના મંદિરો પ્રાચીન અને કલાત્મક છે. દર વર્ષે જેઠ વદ ૧૧ના દિને ધ્વજ ચડાવવામાં આવે છે.