Home > Know Jainism > 26 . શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ
Jainonline.org
• 7-Jun-2025
26 . શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ
7

પ્રથમ નજરે પ્રતિમા દર્શન_
વીજાપુર તીર્થમાં ભવ્ય શિખરબદ્ધ જિનપ્રાસાદમાં શ્રી સ્કુલિંગ પાર્શ્વનાથનાં મનોરમ્ય પ્રતિમાજી દર્શકના હ્રદયોદધિમાં આનંદની ભરતી રેલાવે છે. કલાત્મક પરિકરમાં નવ મનોહર ફણાથી અલંકૃત આ પ્રભુનાં દર્શન નેત્રોને પરમ આહ્ લાદ ઉપજાવે છે. શ્વેત પાષાણની આ લાવણ્યમયી જિનમૂર્તિ પદ્માસને બિરાજે છે. સમગ્ર આત્મ પ્રદેશોમાં ભકિતનાં આંદોલનો પ્રગટાવતી આ મનોહારિણી જિનમૂર્તિ ૫૫ ઈંચ ઊંચી અને ૪૭ ઈંચ પહોળી છે. આ જિનબિંબ અર્વાચીન હોવા છતાં અતિ આહ્ લાદક છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
વિજાપુર ગામ પ્રાચીન અને ઐતિહાસિક હોવાનાં સંખ્યાબંધ પ્રમાણો પ્રાપ્ત થાય છે. એક પ્રાચીન શિલાપટ્ટને આધારે આહડદેવે પોતાના પિતા વિજલદેવની સ્મૃતિમાં સં ૧૨૫૬માં આ નગર વસાવ્યું હતું
સંવત ૧૫૭૧માં લખાયેલા કેટલાંક ગ્રન્થોની પ્રશસ્તિને આધારે આભૂ પોરવાડના વંશજ પેથડ શ્રેષ્ઠીએ વિજા વિજલદેવની સહાયથી આ નગર વસાવ્યું હતું અને એક ભવ્ય જિનાલય બનાવી તેમાં સોનાની જિનપ્રતિમા સ્થાપિત કરી હતી. પણ કેટલાંક પ્રાચીન ઉલ્લેખો વીજાપુર આઠમી-નવમી સદી જેટલું પ્રાચીન હોવાનું જણાવે છે. તે હકીકત જો સત્ય હોય તો ઉપરોકત ઉલ્લેખો તેરમા સૈકામાં આ નગરના જીર્ણોદ્વાર સંબંધી હોય તેમ માની શકાય.
મહામાત્ય વસ્તુપાલ તેજપાલે અહીંના ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયનો સં. ૧૨૮૦માં જીર્ણોદ્વાર કરાવ્યો હતો. તે જાણકારી એક પ્રાચીન પટ્ટાવલી પરથી પ્રાપ્ત થાય છે.
તેરમાં ચૌદમા સૈકામાં વીજાપુર અનેક ગ્રન્થોની સર્જનભૂમિ બની હોવાની નોંધો પ્રાપ્ત થાય છે. પં. અજિતપ્રભ ગણિવરે સં. ૧૨૯૫માં અહીં ‘‘ધર્મરત્ન શ્રાવકાચાર” નામના ગ્રન્થનું સર્જન કર્યુ હતું.
ચૌદમાં સૈકાના પ્રારંભમાં થયેલા શ્રી વિધાનંદસૂરિએ અહીં સરસ્વતી દેવીની મૂર્તિની સ્થાપના કરી હતી. અને ‘વિદ્યાનંદ વ્યાકરણ'ની રચના કરી હતી.
ખરતરગરછીય શ્રી જિનેશ્વર સૂરિની નિશ્રામાં સં. ૧૩૧૭માં અહીંના શ્રી વાસુપૂજ્ય મંદિર ઉપર સુવર્ણદંડ અને સુવર્ણકલશ ચડાવવામાં આવ્યા સંવત ૧૩૩૭માં ખરતર ગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રબોધસૂરિ પણ અહીં પધાર્યા હતા.
પાટણના રાજા રત્નાદિત્ય ચાવડાએ અહીં ‘કુંડ' કરાવ્યો હતો. અને ગુર્જર નરેશ કુમારપાલે અહીં કિલ્લો બંધાવ્યો હતો.
આગમગચ્છીય આચાર્ય શ્રી અમરરત્નસૂરિ અને શ્રી સોમરત્નસૂરિના ઉપદેશથી સં. ૧૫૭૩ના ફાગણ સુદિ રને રવિવારે અહીં ચતુર્વિશતિપટ્ટ બન્યો હતો.
સોળમાં સૈકાના અંતમાં શ્રી સૌભાગ્યહર્ષસૂરિ અને શ્રી સોમ-વિમલ ગણિ વીજાપુર પધાર્યા હતા. ત્યાં તેમનો ભવ્ય પ્રવેશ-મહોત્સવ થયો અને શ્રી સોમવિમલગણિને અહીં જ સંઘની વિનંતિથી ઉપાધ્યાય પદ આપવામાં આવ્યું. પછી તે પ્રભાવક આચાર્ય શ્રી સોમવિમલસૂરિ બન્યા.
આ પ્રાચીન નગર વીજાપુરમાં શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથનું નૂતન તીર્થ નિર્મિત થયેલું છે.
ચૌદ પૂર્વઘર શ્રી ભદબાહુ સ્વામી નેપાળ દેશમાં બિરાજમાન હતાં ત્યારે. પાટલીપુત્ર નગરમાં વ્યંતર દેવે મરકીનો ભયંકર ઉપદ્રવ ફેલાવ્યો. આ ઉપદ્રવથી સંઘને મુકત કરવાનો યોગ્ય ઉપાય કરવા શ્રી સંઘે શ્રી ભદબાહુસ્વામી પાસે વિનંતિ મોકલી. તે વિનંતિને અવધારીને પૂજ્યશ્રીએ સંઘની શાંતિ માટે પ્રભાવ સંપન્ન શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી. આ સ્તોત્રના પ્રભાવથી દેવકૃત ઉપદ્રવ શાંત થયો..
આ ઉવસગ્ગહર સ્તોત્ર અને ભયહર श्री नमीउण स्तोत्र ની બીજી ગાથામાં ' फूलिंग ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ‘સ્ફુલિંગ’નો અર્થ “અગ્નિકણ જેવા ઉપદ્રવો” એવો થાય છે. સહુ ઉપદ્રવોને હરનારા હોવાથી આ પરમાત્મા ‘સ્ફુલિંગ'ના નામથી ઓળખાતા હશે. તેવું અનુમાન સુસંગત છે.
પૂર્વકાળમાં નેપાળ દેશમાં પ્રાચીનતમ શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથ શ્રી વિષહર પાર્શ્વનાથ તથા શ્રી મન્ત્રાધિરાજ પાર્શ્વનાથનાં પ્રભાવક તીર્થો વિદ્યમાન હતાં. આજે તો આ તીર્થો વિચ્છેદ પામેલાં જણાય છે. અથવા પરપરિગૃહીત બની ગયા હોય તે પણ સંભવિત છે.
કેટલાક વર્ષો પૂર્વે પૂ. આચાર્ય દેવશ્રી સુબોધસાગરસૂરી-શ્વરજીને આ તીર્થનું નિર્માણ કરવાની દૈવી પ્રેરણા મળી. દૈવી સંકેતને અનુસરીને તેમણે આ વિરાટ કાર્યનો ઉપદેશ કર્યો અને વીજાપુરમાં શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથનું એક નૂતન તીર્થ અસ્તિત્વમાં આવ્યું. વિ.સં. ૨૦૩૭ના વૈશાખ વદ-૩ના શુભદિને પૂ. આચાર્ય દેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી તથા પૂ. આચાર્ય દેવશ્રી સુબોધસાગર સૂરીશ્વરજી આદિની નિશ્રામાં આ તીર્થનો અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો.
લાખો રૂપિયાના સદ્ વ્યય દ્વારા આ ભવ્ય તીર્થનું નિર્માણ થયું છે. વિશાળ રંગમંડપ અને બહારનો નૃત્યમંડપ મનોહર છે.
પ્રાચીનતાના પુરાવા—
વીજાપુર નગરની પ્રાચીનતાનાં સંખ્યાબંધ ઐતિહાસિક પ્રમાણો પ્રાપ્ત થાય છે. કેટલાક પ્રાચીન શિલાલેખો આ નગરની સ્થાપનાના ઈતિહાસ પર પ્રકાશ પાડે છે. અનેક ગ્રંથોની પ્રશસ્તિઓના આધારે પણ આ નગરની પ્રાચીનતાને પિછાણી શકાય છે.
શ્રી ચંદ્રતિલક ઉપાધ્યાય કૃત 'અભયદેવ ચરિત'ની શ્રી કુમાર ગણિએ ૧૪મા સૈકાના પૂર્વાર્ધમાં રચેલી ૪૯ શ્લોકોની વિસ્તૃત પ્રશસ્તિમાં અહીંના શ્રી વાસુપૂજયસ્વામીના ચૈત્યમાં શ્રેષ્ઠી માનદેવના વંશજોએ કરેલાં અનેક સુકૃત્યોની નોંધ છે.
ચૌદમા સૈકામાં રચાયેલી રત્નાકરગચ્છીય શ્રી જિનતિલકસૂરિ કૃત 'તીર્થમાલા’માં અહીંના શ્રી વીર જિનના જિનાલયનો ઉલ્લેખ છે.
અનેક પટ્ટાવલી ગ્રન્થોમાં પણ વીજાપુરના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.
સંવત. ૧૬૧૯ના મહા સુદ-૧૦ના ગુરુવારે શ્રી આણંદસોમે રચેલા ‘‘શ્રી સોમવિમલસૂરિ રાસ’”માં સૂરિજીને વિજાપુરમાં મહોત્સવ પૂર્વક ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયાનું વર્ણન છે.
સંવત ૧૭રરમાં શ્રી તિલક સાગરે રચેલા “શ્રી રાજસાગર સૂરિ નિર્વાણ રાસ”માં પણ વિજાપુરનો ઉલ્લેખ મળે છે.
સં ૧૭૪૬માં કવિવર શ્રી શીલ વિજયે રચેલી ‘તીર્થમાલા’માં અહીંનાં જિનમંદિરોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
સંવત ૧૭૫૫માં કવિવર જ્ઞાન વિમલે રચેલી તીર્થમાલામાં પણ વીજાપુરનો નામોલ્લેખ જોવા મળે છે.
સંવત ૧૮૭૭માં કવિ દીપ વિજયે રચેલા “સોહમ-કુલરત્ન પટ્ટાવલી રાસ”માં વિ.સં. ૯૨૭માં વીજાપુર વસ્યું હોવાની નોંઘ મળે છે.
પ્રભુનાં ઘામ અનેક—
પૂર્વે શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથનું તીર્થ નેપાળ દેશમાં વિધમાન હતું. વર્તમાનમાં વીજાપુર ગામમાં શ્રી સ્ફુલિંગ પાર્શ્વનાથનું અભિનવ તીર્થ નિર્મિત થયું છે.
પ્રભુનાં ધામની પિછાણ—
વીજાપુર રેલવે સ્ટેશન છે. તથા રોડ રસ્તે પણ ગુજરાતનાં અનેક શહેરો સાથે જોડાયેલું છે. મહેસાણા જિલ્લાના તાલુકાના ગામ વીજાપુરની કુલ વસ્તી ૨૫ હજારની છે. અને જૈનોનાં ૭૦૦ ઉપરાંત ઘર ખુલ્લાં છે. કુલ ૧૨ જેટલાં ભવ્ય જિનાલયો અહીં વિધમાન છે. પ્રાચીન જ્ઞાન ભંડારો ઉપાશ્રયો. પાઠશાળા વગેરે પણ અહીં વિદ્યમાન છે. ધર્મશાળા ભોજનશાળાની સુંદર સગવડ છે. મહેસાણા. મહુડી આદિ તીર્થો નિકટવર્તી છે.