Home > Know Jainism > 29 . શ્રી મનોરંજન પાર્શ્વનાથ
Jainonline.org
• 11-Jun-2025
29 . શ્રી મનોરંજન પાર્શ્વનાથ
53

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
મહેસાણામાં શ્રી સુમતિનાથ પ્રભુના ભવ્ય શિખરબંધી જિનાલયમાં સંપ્રતિકાલીન શ્રી મનોરંજન પાર્શ્વનાથ પ્રભુ પદ્માસને બિરાજે છે . શ્વેત પાષાણનાં આ મનોહર પ્રતિમાજીની ઊંચાઈ ૨૭ઈંચ અને પહોળાઈ ૨૨ ૧/૪ ઈંચ છે. પ્રભુજીના મસ્તકે ફણા નથી.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
મહેસાજી ચાવડાએ વિક્રમના બારમા-તેરમાં સૈકામાં મહેસાણા વસાવ્યું હતું. શ્રી મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં એક પ્રાચીન ગૃહસ્થ-મૂર્તિ ઉપર સં ૧૨૫૭નો લેખ પ્રાપ્ત થાય છે. આ લેખ મંદિર બંધાવનાર શ્રેષ્ઠીનો હોવાનું અનુમાન છે. તે ઉપરથી મહેસાણા ગામ તેરમા સૈકાથી પ્રાચીન હોવાની પ્રતીતિ થાય છે.
જામનગરમાં શેઠ રાયશી વર્ધમાનના મી શાંતિનાથ ભગવાનના જિનાલયની એક ધાતુમૂર્તિ મહેસાણાના રહીશ શ્રેષ્ઠીએ સં. ૧૪૯૯માં ભરાવ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ઉલ્લેખ પણ મહેસાણા નગરની પ્રાચીનતાનો એક પ્રબળ પુરાવો છે.
પહેલા મહેસાણામાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથનું જિનાલય વિધમાન હતું. ચૌદમા-પંદરમા સૈકામાં આ જિનાલય મુસ્લિમ આક્રમણોનો ભોગ બન્યું આક્રમણથી તે મૂર્તિનું રક્ષણ કરવામાં આવ્યું અને હાલમાં તે પ્રતિમાજી વિસનગરમાં બિરાજમાન છે.
ચૌદમાં સૈકા સુધી તો મહેસાણામાં મહેસાજીના વંશજોનું જ શાસન હતું સમય જતાં અધિકારી વંશજો વચ્ચે ભાગલા પડયા. ચાવડાનું રાજ્ય વહેંચાઈને નાનું થયું
વર્તમાનમાં વિદ્યમાન તમામ જૈન તથા હિંદુ મંદિરો ગાયકવાડી રાજ્યની સ્થાપના થયા પછીનાં છે.
સંવત ૧૬૬૧ના અષાઢ વદ-૧૨ના દિવસે ૫ કમલવિજયજી મહેસાણામાં કાળધર્મ પામ્યા હતા. તે જ સાલમાં તેમના શિષ્ય હેમવિજયગણિએ મહેસાણામાં જ “કમલ વિજ્ય રાસ” રચ્યો હતો.
આ પાર્શ્વનાથ ભગવંતના ‘મનોરંજન' નામની પાછળ એક કિંવદન્તી છે. મહેસાજીનો રાજ્ય વૈભવ અખૂટ હતો. પણ આ રાજ્ય ગાદીનો કોઈ વારસ ન હોવાથી તેમનું મન સદા નારાજગી અનુભવતું વિહાર કરતા કોઈ જૈનાચાર્ય મહેસાણા પધાર્યા. એ આચાર્ય ભગવંતની મહાનતાને પિછાણનારા કોઈ ગૃહસ્થે મહેસાજીને તેમની મુલાકાત કરાવી આપી. મહેસાજીએ ઊંડી આશા સાથે પોતાની પુત્રપ્રાપ્તિની ઝંખના આચાર્ય ભગવંત પાસે વ્યકત કરી.
દીર્ધદૈષ્ટિથી લાભાલાભને નિહાળનારા આ આચાર્ય ભગવંતે ઇહલૌકિક અને પારલૌકિક સર્વ ઈષ્ટની સિદ્ધિ કરી આપનારા પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરાધનાનો મહિમા સમજાવ્યો. મહેસાજીએ શુદ્ધ ભૂમિમાં બેસીને શ્રીપાર્શ્વપ્રભુની પ્રતિમા સામે વિધિપૂર્વક આરાધન કર્યુ. તે આરાધનાના પ્રભાવે મહેસાજીની નારાજગી ટળી ગઈ. પુત્રપ્રાપ્તિની ઝંખના પૂર્ણ થઈ. અને પુત્ર દર્શનથી તેમના મનનું રંજન થયું અને રાજાના મુખમાંથી “મનોરંજન પાર્શ્વનાથ” એવું નામ સરી પડયું.
શ્રી મનોરંજન પાર્શ્વનાથનાં આ પ્રતિમાજી એક ભવ્ય શિખરબંધી જિનાલયમાં બિરાજમાન છે. પૂર્વે મનોરંજન પાર્શ્વનાથ તથા સુમતિનાથનાં જુદાં જુદાં બે જિન મંદિરો હતાં. આ બન્ને ભેગા કરી ત્યાં હાલ મોટું દેરાસર બાંધેલું છે.
નૂતન જિનાલયમાં શ્રી મનોરંજન પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા સં. ૧૯૨૦ ના મહા સુદ ૧૦ને બુધવારના દિને થયેલી છે.
મહેસાણા તીર્થ તાજેતરમાં અત્યંત ખ્યાતિને પામેલું છે. વિ.સં. ૨૦૨૮માં ગામની બહાર શ્રી સીમંધર સ્વામીના નૂતન અને ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા થતાં આ તીર્થની ખ્યાતિ વધી છે. શ્રી સીમંધર સ્વામીનું વિરાટકાય મનોહર બિંબ દર્શનીય છે. મહામહિમ શ્રી સીમંધરસ્વામીના આ તીર્થની સ્થાપના સ્વ. પૂ. આ શ્રી કૈલાસ-સાગર સૂ. મહારાજ હસ્તક થઈ છે.
પ્રાચીનતાના પુરાવા—
પંદરમી સદીમાં મેઘ કવિએ રચેલી તીર્થમાલામાં મહેસાણા તીર્થનો પણ ઉલ્લેખ છે.
સંવત્ ૧૬૫૬માં કવિ નયસુંદરે ‘‘શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ” રચ્યો છે. તેમાં મહેસાણાના પાર્શ્વનાથને પણ તેમણે સ્તવ્યા છે.
સંવત્ ૧૬૬૭માં કવિ શાંતિકુશલે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન”માં મહેસાણાના પાર્શ્વનાથનો પણ ઉલ્લેખ છે.
સંવત્ ૧૬૮૯ના પોષ વદ ૧૦ના દિને મુનિ ગુણવિજ્યના શિષ્યે રચેલા “શ્રી ૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન’'માં મહેસાણાના પાર્શ્વનાથને અતિ મહિમાવાન ગણવામાં આવ્યા છે.
સંવત્ ૧૭૪૬માં કવિ શીલવિજયજીએ રચેલી ‘તીર્થમાલા’’માં મહેસાણાનાં જિનાલયોનો ઉલ્લેખ પણ જોવા મળે છે.
અઢારમી સદીમાં કલ્યાણસાગરે રચેલી “પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી”માં મહેસાણાના પાર્શ્વનાથના મહિમાની સ્તવના કરવામાં આવી છે.
અઢારમી સદીમાં કવિવર જ્ઞાનવિમલે રચેલા “૧૩૫ નામ ગર્ભિત” “શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં પણ મહેસાણા પાર્શ્વનાથના નામનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
પ્રભુનાં ઘામ અનેક—
પ્રેક્ષકના મનનું રંજન કરનાર શ્રી મનોરંજક પ્રતિમાજી મહેસાણામાં શ્રી સુમતિનાથ જિનાલયમાં બિરાજે છે. મનોરંજન પાર્શ્વનાથનાં પ્રતિમાજી શ્રી કરેડા પાર્શ્વનાથ તીર્થની ચોથી દેરીમાં પણ છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
ઉત્તર ગુજરાતનું મહેસાણા શહેર એ જિલ્લાનું મુખ્ય મથક છે.
હાલના તબકકે ભારતભરમાં એક માત્ર વિશાળકાય શ્રી સીમંઘર સ્વામીનું જિનાલય થતાં આ શહેર તીર્થ તરીકે અત્યંત ખ્યાતિને પામ્યું છે. ગામમાં કુલ ૧૫ જિનાલયો. ઉપાશ્રયો. પાઠશાળા શાન ભંડાર, આદિ વિદ્યમાન છે. અહીંની શ્રી યશોવિજય સંસ્કૃત પાઠશાળાનો જૈન શિક્ષણના પ્રચારમાં મહત્ત્વનો ફાળો છે. યાં સીમંધર સ્વામી જિનાલયના પટાંગણમાં વિશાળ ધર્મશાળાઓ અને ભોજનશાળા આદિની સુંદર સગવડ છે. ગામમાં જૈનોના ૩૦૦ ઘર છે. પ્રતિવર્ષ સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ થાય છે. મહેસાણા જિલ્લામાં શંખેશ્વર, મુંજપુર. પાટણ ચારૂપ કંબોઈ રાંતેજ, ચાણસ્મા, શંખલપુર, આદિ અનેક તીર્થસ્થાનો આવેલા છે.
મહેસાણા જંકશન રેલવે સ્ટેશન છે. તેમજ જમીન રસ્તે પણ રાષ્ટ્રના અનેક ભાગો સાથે સંકળાયેલું છે.