Home > Know Jainism > Shree Mastush Muni
Jainonline.org
• 14-Jun-2025
Shree Mastush Muni
1208
.png)
માસતુસ મુનિ
પાટલીપુત્ર નગરમાં બે ભાઈઓ વેપાર કરી પોતાની જીવિકા ચલાવતા હતા. તેમને એક વાર ગુરુમહારાજ પાસેથી ધર્મની દેશના સાંભળી વૈરાગ્યભાવ જાગ્યો અને બન્નેએ દીક્ષા લીધી. તેમાં એક ભાઈએ ભણવાનો પ્રયત્ન જ ન કર્યો ને બીજાને ક્ષયોપસમ સારો હોઈ બહુશ્રુત થયા અને આચાર્ય પદવી પણ પામ્યા. તેઓ પાંચસો શિષ્ય-સમુદાયના નાયક થયા. સાધુઓને તેઓ વાચના આપતા, તેમાં કોઈ શંકા-સંદેહ થતાં અવારનવાર તે સાધુઓ તે તે સૂત્રાદિ સમજવા આવતા. આમ થવાથી ક્રિયા અને પઠનપાઠનમાં સઘળો સમય વીતી જતાં વિશ્રાંતિ મળતી નહીં. કોઈ વાર તો નિદ્રાનો અવકાશ પણ ન મળતો. આમ કરતાં જોગાનુજોગ તેમને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થતાં વિચાર આવ્યો : 'હું શાસ્ત્ર ભણ્યો એનું જ આ દુઃખ છે. થોડી વાર આરામ પણ મળતો નથી. મારો અભણભાઈ કેવો સુખી છે? કોઈ જાતની ચિંતા નથી કે નથી કોઈ ભાર! નિરાંતે આહાર કરીને ઊંઘે છે ! - ઇત્યાદી વિચાર કરતાં હવે ‘હું આ કલેશથી છૂટું' એવો વિચાર કર્યા કરતા હતા.
એક વખત બધા સાધુઓ ખાસ કારણે કશે બહાર ગયા હતા ત્યારે છટકી જવાનો અવસર છે એમ જાણી તેઓ નગર બહાર ચાલી આવ્યા. તે વખતે કૌમુદી પર્વ ચાલતું હોવાથી ગામની સીમામાં એક મોટો સ્તંભ રોપી લોકોએ શણગાર્યો હતો ને તેની ફરતે લોકો સારાં કપડાં પહેરી બેઠા હતા, ને ગીતસંગીતની રંગીન સભા જામી હતી. આચાર્ય એક તરફ ઊભા રહી આ કૌતુક જોતા હતા. ત્યાં ઉત્સવ પૂરો થતાં થાંભલાં ઉપરથી વસ્ત્રાભૂષણનો શણગાર ઉતારી લોકો ચાલતા થયા. થડ જેવો એકલો થાંભલો ઉજ્જડ સીમમાં રહી ગયો, ને કાગડાઓએ ત્યાં કાગારોળ કરી મૂકી, આચાર્ય મહારાજે આ જોઈ વિચાર્યું કે, “માણસોનો સમૂહ હતો. તેથી થાંભલો શણગાર્યો હતો; ને માણસોથી જ તેની શોભા હતી. એ માણસો ચાલ્યા જતાં થાંભલો હાડપિંજર જેવો લાગે છે. ખરેખર પરિવારથી પરીવરેલાની જ શોભા છે, એકલાની શોભા નથી. શિષ્યાદી પરીવાર અને ધર્મથી ભ્રષ્ટ થઈ એકલા વિચરવાનો વિચાર કરનાર મને ધિક્કાર છે!" - ઈત્યાદિ વિચારતા તેઓ ઉપાશ્રયે પાછા ફર્યા. આ કાર્યનું પ્રાયશ્ચિત લઈ તે પાપની નિંદા-ગર્હા કરી, છતાં દુર્ભાવનાથી બાંધેલું જ્ઞાનાવરણીય કર્મ પૂરેપૂરુ નષ્ટ ન થયું. પછી તો તેમણે શુદ્ધ ચારિત્ર્ય પાળ્યું. અંતે અણસણ પણ કર્યું ને આયુ પૂર્ણ કરી સ્વર્ગે ગયા.
દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ રબારીને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. યુવાન થતાં તેમનાં લગ્ન થયાં ને તેમને એક રૂપાળી દીકરી પણ થઈ. તે દીકરી તરુણ થતાં તેનું રૂપ પણ ખીલી ઊઠ્યું. હંમેશની જેમ એક વાર ઘણા રબારીઓ પોતપોતાનાં ગાડાં ભરી બીજે ગામ ઘી વેચવા ચાલ્યા. આમાં આ રબારી પણ એક ગાડા સાથે હતો. કોઈ કાર્યવશ તેની દીકરી પણ સાથે હતી, જે ગાડું ચલાવતી હતી. રૂપવાન આ છોકરીને જોઈ બીજા ગાડાવાળાઓ મોહાંધ થયા. મોહવશ, ગાડાં ચલાવવા ઉપર તેઓનો કાબૂ ન રહેતા ગાડાં આડા માર્ગે ચાલ્યાં અને ગાડાંઓ મોટા ખાડામાં પડ્યાં. આ જોઈ એ રબારીએ વિચાર્યું : “અસાર અને મળ-મૂત્રની મશક જેવા સ્ત્રીના શરીરમાં બધા જ મોહાંધ બનતાં કામાંધ બને છે અને પોતાના હિતાહિતનો પણ વિચાર કરતા નથી." આમ અશુચિ આદિ ભાવના ભાવતાં વૈરાગ્ય ઊપજ્યો. ઘી વેચી તે પોતાના ઘરે આવ્યો. પુત્રીને યોગ્ય સ્થાને પરણાવી અને સદ્ગુરુનો સમાગમ થતાં દીક્ષા લીધી. આવશ્યકાદિ સૂત્રના યોગ કરી અનુક્રમે ઉત્તરાધ્યનના યોગ આરંભ્યા. ત્રણ અધ્યયન તો પૂરા કર્યાં, પણ ચોથા અધ્યયનના પ્રારંભમાં પૂર્વસંચિત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થતાં, ઘણો જ પ્રયત્ન કરવા છતાં, ચોથા અધ્યયનના અસંખ્યજીવીય આ ગાથાનો એક અક્ષર પણ ન આવડયો.
આ વાત તેમણે પોતાના ગુરુને જણાવી : “અચાનક આ શું થઈ ગયું? મને ઉપાય બતાવો.”ગુરુએ કહ્યું, “તમે આયંબિલનું તપ કરો. રાગ-દ્વેષનો નિગ્રહ કરો અને તે માટે "મા રુસ મા તુષ" એટલે કે "રોસ ન કર - રાગ ન કર" નું રટણ કર્યા કરો. તેથી રાગ-દ્વેષ ઉપજાવનાર વૃત્તિ પર તમારું નિયંત્રણ થશે. આને તમે રહસ્યમય મંત્ર સમજીને રટણ કર્યા કરો. તેથી તમને ઘણો લાભ થશે."
તે મુનિએ ગુરુમહારાજે આપેલું પદ લઈ ગોખવા માંડયું ને બીજો કોઈ પાઠ ન લીધો. કારણ કે બીજા પાઠ મહેનત કરવા છતાં યાદ રહેતા ન હતા. એ ગુરુએ આપેલ પદ ગોખતા જ રહ્યા. દિવસ રાત એક જ ધુન 'મા રુસ મા તુસ' ગોખતા. પણ ગોખતાં જીભ થોથરાવા લાગી અને આસ્તે આસ્તે અસલ મંત્રને બદલે 'માસ તુસ માસ તુસ' મોંએ ચડી ગયું એટલે 'માસ તુસ માસ તુસ' ગોખવા માંડયું આ સાંભળી બધા હસવા લાગ્યા. છતાં મુનિઓ એ ગુરુમહારાજની શિખામણ ધ્યાનમાં રાખી અને આપેલા પદને મંત્ર જાણી રોષ ન કર્યો ને ક્ષમા રાખી. જેમ જેમ બીજા હસતા તેમ તેમ તેઓ પોતાના આત્માની વધારે નિંદા કરતા કે 'હે જીવ! તું રોષ ન કર, તું તોષ (રાગ) ન કર.' આમ ગુરુજીએ બતાવેલા રહસ્યમય શબ્દના અર્થો અને સકલ સિદ્ધાંતના સારભૂત આ પદ ગોખતા જ ગયા, તે ત્યાં સુધી કે બીજા મુનિઓએ તેમનું નામ માસતુસ મુનિ પાડી દીધું. છતાં આત્મનિંદા અને આયંબિલ તપ કરતાં ધીરતા—પૂર્વક મુનિએ બાર વર્ષ વીતાવ્યાં અને એ પદ ગોખતા ગોખતા અને તેની ભાવના ભાવતા ભાવતા શુભ ધ્યાને તેઓ ક્ષપકશ્રેણીએ ચડ્યા ને લોકાલોકપ્રકાશી કેવળજ્ઞાન પામ્યા. દેવોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. જ્યાં અક્ષર પણ ચડતો ન હતો ત્યાં રાગ-દ્વેષ જીતીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું; પૃથ્વી ઉપર વિચારી ઘણા જીવોને ઉપદેશ આપી અંતે સિદ્ધ-બુદ્ધ-મુક્ત થયા. આમ માસતુસ મુનિ શુભ ભાવે ભાવના ભાવતા, ઉચ્ચાર ખોટો થતો હોવો છતાં સર્વ પાપનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મુક્તિ પામ્યા.
શ્રી માસતુષ મુનિ સ્ટોરી MCQ QUIZ માટે નીચેની લિંક પર ક્લિક કરો. ⬇️
બાળકોને મઝા પડી જાય તેવી....જિનશાસનના મહાપુરુષોની લેટેસ્ટ એનિમેટેડ કલરફુલ પિક્ચર સહિતની સ્ટોરીબુક આપ નીચેની લિંક પરથી ખરીદી શકશો...⬇️
http://jainonline.org/buyonline?subcategory=Children%20Story%20Books&languages=Gujarati