Home > Know Jainism > 31 . શ્રી ડોસલા પાર્શ્વનાથ
Jainonline.org
• 13-Jun-2025
31 . શ્રી ડોસલા પાર્શ્વનાથ
20

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
ઘોતા સકલાણા ગામના મનોહર ઘુંમટબંધ જિનાલયમાં શ્રી ડોસલા પાર્શ્વનાથનું નયન મનોહર જિનબિંબ બિરાજમાન છે. શ્વેત પાષાણનાં આ પ્રતિમાજીના મસ્તકે ફણા નથી. દર્શકના સઘળા આત્મપ્રદેશમાં આનંદનો ચેપ લગાડતા આ આહ્લાદક પ્રતિમાજીની ઊંચાઈ ૨૩ ઈંચ અને પહોળાઈ ૧૮ ૧/૪ ઈય છે. પ્રતિમાજી સંપ્રતિકાલીન છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
ઘોતા-સકલાણા ગામના શ્રી ડોસલાપાર્શ્વપ્રભુ શ્રી દોહયલા પાર્શ્વનાથના અપર નામથી પણ ઓળખાય છે. સંભવિત છે કે, પૂર્વકાળમાં આ પ્રતિમાજીનાં દર્શન ઘણા દુર્લભ હશે. તેથી કદાચ આ પરમાત્મા શ્રી દોહયલા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ બન્યા હશે. તે સિવાય આ પરમાત્માના આવા વિશિષ્ટ નામની ભીતરમાં પડેલી કોઈ ઘટના કે કથા સાંભળવામાં આવી નથી.
આ પ્રતિમાજી સંપ્રતિ કાળનાં છે. પ્રતિમાજીનું અનુપમ સૌંદર્ય નયનોને દર્શનનું ઘેલું લગાડી દે છે.
આ જિનાલય સંવત ૧૮૮૦ આસપાસમાં શ્રી સંઘે બંધાવેલું છે. દર વર્ષે કાર્તિક સુદ ૧૫નો અહીં મેળો ભરાય છે. બનાસકાંઠા જિલ્લાનું આ અજ્ઞાત તીર્થ ખરેખર દર્શનીય છે.
પ્રાચીનતાના પુરાવા—
શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું આ નામ અને આ તીર્થ ઘણું અજ્ઞાત હોવાથી, પ્રાચીન ગ્રંન્થોમાં તેના વિશેષ ઉલ્લેખો પ્રાપ્ત થતા નથી.
પ્રભુનાં ઘામ અનેક—
શ્રી ડોસલા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ બનાસકાંઠા જિલ્લાના ઘોતા સકલાણા ગામમાં આવેલું છે. તે ઉપરાંત, અમદાવાદ કીકાભટ્ટની પોળમાં પણ શ્રી ડોસલા પાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
શ્રી ડોસલા પાર્શ્વનાથનું ધોતા સકલાણા તીર્થ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અને પાલનપુર શહેરની નિકટમાં આવેલું છે. ગામમાં જૈનોની જૂજ વસ્તી છે.
નાનકડું ગામ અને અજ્ઞાત તીર્થ હોવા છતાં પરમાત્માનો પ્રભાવ અલૌકિક છે.