Home > Know Jainism > 32. શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ
Jainonline.org
• 14-Jun-2025
32. શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ
40

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
દર્શકનાં નેત્રોને પાવિત્ર્યથી પલ્લવિત કરતી શ્રી પલ્લવિયા પાર્શ્વનાથની મનહરણી મૂર્તિ પાલનપુર નગરના એક ભવ્ય જિનાલયમાં બિરાજમાન છે. શ્વેત વર્ણના આ મનોહર પ્રતિમાજી પદ્માસને બિરાજે છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૭ ઈંચ છે. અને પહોળાઈ ૧૪ ઈંચ છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
પ્રભાવક આચાર્ય શ્રી સોમસુંદરસૂરિ અને બાદશાહ અકબર પ્રતિબોધક જગતગુરૂ શ્રી હીરવિજયસૂરિ જેવી મહાન વિભૂતિઓની જન્મભૂમિ પાલનપુર નગર સૈકાઓથી ઉન્નતિના શિખર પર બેઠેલું છે. આ નગરની અને તીર્થની ઉત્પત્તિનો એક અમર ઈતિહાસ છે.
આ નગરની ઉત્પત્તિને જાણવા માટે મતાંતરોના ઘણાં જાળાંમાંથી પસાર થયા બાદ આ નગર એક હજાર વર્ષથી વધુ પ્રાચીન જણાય છે. અર્બુદાચલના તખ્ત ઉપર બેસીને વિ. સં. ૧૦૦૧માં પાલણ ઉર્ફે પ્રહલાદન રાજાએ રાજ્યની ધુરા સંભાળી. શિવભકત પાલણે પિત્તળની ઘાતુના એક મનોહર જિનબિંબને પિગાળીને તેમાંથી એક નંદીનું નિમાર્ણ કરાવ્યું. આ નંદી તેણે શિવના મંદિરમાં સ્થાપિત કર્યો.
ત્રણ લોકના તારણહાર પરમાત્માનું આ જિનબિંબ હજારોનાં હૈયામાં સમ્યગ્દર્શનનું બીજારોપણ કરનારું હતું. જિનેશ્વર પરમાત્માના બિંબનો વિધ્વંસ કરવાનું આ પાપ કર્મ સત્તાની ડાયરીમાં અક્ષમ્ય અને ભયંકર નોંધાઈ ગયું. અતિ ઉગ્ર દુષ્કૃત્યના અંજામ તત્કાલ અને પ્રત્યક્ષ ભોગવવા પડે છે.
પાલણ રાજાએ પણ પોતાના કઠોર કર્મનો કરૂણ અંજામ અનુભવ્યો. કામણગારી કાયાનો દુષ્ટ કુષ્ઠે ભરડો લીધો. કાયાનાં તેજ અને લાવણ્ય કરમાઈ ગયાં અને વ્યાધિની વેધક પીડા અસહ્ય બનવા લાગી.
લોકમાં પણ કહેવાય છે કે, વિપત્તિ એકલી નથી આવતી અનેક સખીઓને સાથે લઈને આવે છે. કુષ્ઠ રોગથી પીડિત આ રાજાનું રાજ્ય ગોત્રીયજનોએ પડાવી લીધું રાજ્ય વિહોણો કોઢિયો રાજા દીન બનીને રઝળવા લાગ્યો.
અધ્યાત્મની જ્યોત જગાવીને મહાપંથના યાત્રિક બનેલા જૈન સંતો જગતના દીન અને દુ:ખી જનોના આશ્વાસક અને રાહબર બને છે. દુ:ખી પાલણને પણ મહાત્મા શીલધવલસૂરિનો ભેટો થઈ ગયો. આવી પડેલી આપત્તિથી અત્યંત વ્યથિત બનેલો પાલણ ચોંધાર આંસુએ રડતો સૂરીશ્વરના ચરણોમાં ઢળી પડયો. પોતાની વ્યથાની દુ:ખદ કથા સૂરિજીન તેણે સંભળાવી પશ્ચાત્તાપનો અગ્નિ અંતરમાં પ્રજવલિત થઈ ગયો હતો. તેથી પોતે કરેલું કાતિલ પાપ પણ સૂરિજીની પાસે પ્રગટ કર્યું. પશ્ચાત્તાપના પાવકમાં પાપી પાલણ ઘણો શુદ્ધ થઈ ગયો. પોતાના દુષ્ટ કૃત્યનું પ્રાયશ્ચિત્ત આપવા તેણે સૂરિજીને વિનવ્યા.
વૈરાગ્ય નીતરતી વાણીથી સૂરિજીએ પાલણને આશ્વાસન આપ્યું અને પોતાના પાપને ટાળવા એક મનોહર જિનબિંબ ભરાવીને તેની નિત્ય પૂજા કરવા સૂચવ્યું ગુરુદેવના વચનોને અનુસરીને પાલણે ત્રેવીસમા તીર્થપતિ પાર્શ્વપ્રભુનું એક મનોહર જિનબિંબ ભરાવ્યું અને અપૂર્વ ભકિતથી પરમાત્માની નિત્ય નવ વાર પૂજા કરવા લાગ્યો પરમાત્માની પૂજાના પરમ પ્રભાવથી અજોડ ચમત્કાર થયો. વર્ષોનો વ્યાધિ ક્ષણમાં વિલય પામ્યો.
“પલ્લવ વૃક્ષ જેસો જોથ તેસો દેહ પલ્લવ હોય તાપે પલ્લવિયા પાસ કીનો નામ ઠવણા તાસ"
વ્યાધિથી મુકત બનેલી કાયા કાંતિથી પલ્લવિત બની પ્રતિમાના આ પ્રભાવથી રાજાએ પરમાત્માને “પલ્લવિયા પાર્શ્વનાથ'ના નામથી નવાજયા
સુંદર સ્થાનને પસંદ કરીને પાલણ રાજાએ સંવત ૧૦૧૧ની સાલમાં એક નૂતન નગર વસાવ્યું. રાજાના નામ પરથી આ નગર પ્રહ્લાદનપુર કે પાલ્હણપુરના નામની ઓળખાયું. આ નગરને પોતાના રાજ્યની રાજધાની બનાવી. પ્રહ્લાદનપુરમાં “પ્રહૂલાદન વિહાર" નામનો એક ભવ્ય જિનપ્રાસાદ બંધાવી તેમાં તેણે પલ્લવિયા પાર્શ્વપ્રભુને પ્રતિષ્ઠિત કર્યા પ્રહૂલાદન રાજાએ ભરાવેલાં આ પ્રભાવક પ્રતિમાજી “પ્રહૂલાદન પાર્શ્વનાથ'ના નામથી પણ ઓળખાવા લાગ્યા.
પ્રહલાદન રાજાએ ભરાવેલી આ પ્રતિમા સુવર્ણની હતી કે પાષાણની તે વિષયમાં મતભેદો છે. પણ તે મૂળ પ્રતિમાનું મુસ્લિમ આક્રમણોથી રક્ષણ કરવા ભંડારી દેવાઈ હશે. તેમ મનાય છે. ત્યાર બાદ શ્રી પાર્શ્વનાથ ભગવંતની જ નૂતન પ્રતિમાનું નિર્માણ થયું અને વિ.સં ૧૨૭૪ના ફાસુ પને ગુરુવારે કોરંટગચ્છીય આચાર્ય શ્રી કકૂકસૂરિજીના પુનિત હસ્તે તે પ્રતિમાની "પલ્લવિયા પાર્શ્વનાથ” તરીકે મૂળ જિનપ્રાસાદમાં જ પ્રતિષ્ઠા થઈ. શ્રી પલ્લવિયા પાર્શ્વનાથનું બે માળનું ઉત્તુંગ અને મનોહર જિનાલય વર્તમાનમાં પણ વિધમાન છે. સે. ૧૩૧૫ની સાલના લેખવાળી પ્રાચીન અંબિકા દેવીની મુર્તિ અહીં વિધમાન છે. આ મુખ્ય મંદિરની સાથે જ બીજા બે જિનાલયો જોડાયેલાં છે તેમાંથી એકમાં શ્રી આદિનાથ અને બીજામાં શ્રી નેમનાથ પ્રભુ મૂળનાયક છે. પાલણપુરમાં ૧૦થી વધુ જિનાલયો વર્તમાનમાં વિદ્યમાન છે.
આચાર્યદેવશ્રી સોમસુંદરસૂરિનો સં. ૧૪૩૦માં અને શ્રી હીર-વિજયસૂરિનો સં. ૧૫૮૩માં આ તીર્થભૂમિમાં જ જન્મ થયો હતો
આ પ્રહલાદનપુર નગરના સ્થાપક પ્રહલાદન રાજા વિદ્ધાન અને સાહિત્યસર્જક હતો. “પાર્થ પરાક્રમ વ્યાયોગ' નામનું સંસ્કૃત નાટક તેમણે રચ્યું હતું
પ્રહલાદનપુરની જાહોજલાલી ખૂબ વૃદ્ધિ પામતી ગઈ. આ નગરના વૈભવ. આ જિનપ્રાસાદની ભવ્યતા અને અહીંના લોકોની ધાર્મિકતાનું અનેક કવિઓએ વર્ણન કર્યું છે.
પ્રાચીનતાના પુરાવા–
અનેક પ્રાચીન પટ્ટાવલી ગ્રન્થો અને અનેક અન્ય પ્રાચીન રચનાઓ શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ તીર્થની પ્રાચીનતા પર પ્રકાશ પાડે છે.
૧૪મી સદીમાં રચાયેલા “નાભિનંદનોદ્ધારપ્રબંધ' નામના ગ્રન્થમાં સુવર્ણના કાંગરાઓથી મંડિત થયેલા “પ્રહલાદન વિહાર'ને સુરમન્દિરની ઉપમા આપવામાં આવી છે.
સંવત ૧૪૬૬માં રચાયેલા મુનિસુન્દરસૂરિકૃત 'ગુર્વાવલી” અને શ્રી ગુણરત્ન સૂરિકૃત “શ્રી ગુરુપર્વ કર્મવર્ણન” નામના ગ્રન્થોમાં શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજાના સમયની આ તીર્થની ખ્યાતિ અને જાહોજલાલીનું વર્ણન છે.
૧૫મી સદીમાં મેઘકવિએ રચેલી “તીર્થમાલા'માં આ તીર્થના મહિમા અને વૈભવનું સંક્ષિપ્ત પણ રોચક વર્ણન છે.
સંવત ૧૫૨૧માં શુભશીલગણિએ રચેલા “પ્રબન્ધપંચ-રાતિ'' નામના ગ્રન્થના ૫૫૬મા પ્રબન્ધમાં આ તીર્થની ઉત્પત્તિનો સંક્ષિપ્ત ઈતિહાસ છે.
સંવત ૧૫૨૪માં મુનિ પ્રતિષ્ઠાસોમે રચેલી “સોમ-સૌભાગ્ય પટ્ટાવલી'માં પણ આ તીર્થની જાહોજલાલીનું વર્ણન છે.
સંવત ૧૫૫૬ના વૈ.વ. રના દિને જિનહર કવિએ રચેલા "વિક્રમ ચરિત પંચદંડ”માં “પાલ્ટવિહાર"ને પૃથ્વીના તિલક સમાન ગણવામાં આવ્યું છે.
સંવત ૧૬૪૮માં મહોપાધ્યાય શ્રી ધર્મસાગરગણિએ રચેલી “તપાગચ્છ પટ્ટાવલી'માં આ તીર્થના અનુપમ વૈભવનું આલેખન કરાયેલું છે.
"હીરસૌભાગ્ય” નામના મહાકાવ્યમાં પણ આ તીર્થના માહાત્મ્ય અને વૈભવનું કવિ દેવવિમલ ગણિએ અદ્ભુત વર્ણન કર્યું છે.
સંવત ૧૬૫૫માં કવિ પ્રેમવિજયે વર્ણાનુપ્રાસ અલંકાર માં ગુંથેલી "૩૬૫ શ્રી પાર્શ્વ જિન નામમાલા"માં આ તીર્થનો પણ ઉલ્લેખ છે.
સંવત ૧૬૬૫ના વિજયાદશમીને સોમવારના દિને મહોપાધ્યાયશ્રી કલ્યાણ વિજયના શિષ્યે રચેલા "શ્રી ભટેવા પાર્શ્વનાથ સ્તવન'માં આ તીર્થની પણ સ્તવના કરવામાં આવી છે.
સંવત ૧૬૬૭માં કવિવર શાંતિકુશલે રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન"માં આ પાર્શ્વનાથ ભગવંતનો પાર્શ્વપ્રભુના ૧૦૮ નામમાં સમાવેશ કરાયેલો છે.
સંવત ૧૬૮૫માં રચાયેલા કવિ ઋષભદાસ કૃત 'શ્રી હીરવિજયસૂરિરાસ'ના પ્રથમ ખંડમાં ‘'વ્હાલ વિહાર’' નામના આ જિનપ્રાસાદની ભવ્યતાનું, નગરના વૈભવનું અને આ તીર્થના ઉત્પત્તિના ઈતિહાસનું મનોહર આલેખન કરાયેલું છે.
સંવત ૧૬૮૯માં મુનિ ગુણવિજયના શિષ્યે રચેલા ૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન" અને ૧૭મી સદીમાં જ રચાયેલા કવિ રત્ન કુશલ કૃત “પાર્શ્વનાથ સંખ્યા સ્તવન'માં આ તીર્થનો ઉલ્લેખ છે.
સંવત ૧૭૨૧માં રચાયેલી મેઘવિજય ઉપાધ્યાય કૃત 'શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં પાર્શ્વપ્રભુના આ નામને પણ ગૂંથવામાં આવ્યું છે.
કવિવર જ્ઞાન વિમલે સંવત ૧૭૫૫માં રચેલા “તીર્થ-માલા''માં અને ૧૮મી સદીમાં જ રચેલા ‘૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન”માં આ તીર્થનો નામ નિર્દેશ કર્યો છે.
૧૮મી સદીમાં સુખસાગર કવિએ રચેલા “વૃદ્ધિ વિજય ગણિ નિર્વાણ ભાસ"માં અને કવિ રામવિજયે રચેલા “શ્રી વિજય-રત્નસૂરિરાસ'માં આ તીર્થ અને નગરનું સંક્ષિપ્ત વર્ણન કરાયેલું છે.
કવિ દીપવિજયે સંવત ૧૮૭૭માં સુરત મુકામે રચેલા *'સોહમકુલરત્ન પટ્ટાવલી રાસ'માં અને ૧૯મી સદીમાં જ રચેલા "શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ સ્તવન''માં આ નગરના અને તીર્થના ઈતિહાસ તથા વૈભવનું વિસ્તૃત અને મનોહર વર્ણન કર્યું છે.
સંવત ૧૮૮૧ના ફાગણ વદ રના દિને પં. ઉત્તમ વિજયે ગાયેલા ‘શ્રી પાર્શ્વ પ્રભુનાં ૧૦૮ નામના છંદ''માં આ પાર્શ્વપ્રભુને પણ તેમણે સ્તવ્યા છે.
પ્રભુનાં ધામ અનેક—
પ્રહ્લાદન પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરની મધ્યમાં આવેલું છે. શાન્તાક્રુઝ (મુંબઈ) ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથનાં જિનાલયની ભમતીમાં એક ગોખલામાં પણ આ પાર્શ્વ પ્રભુનાં એક પ્રતિમાજી બિરાજે છે. અન્યત્ર કયાંય આ પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી હોય તેવું જણાયું નથી.
પ્રભુનાં ઘામની પિછાણ—
અમદાવાદ આબુરોડ રેલવે લાઈન પર આવેલું પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય શહેર છે. પાલનપુર જમીન માર્ગે પણ ભારતનાં અનેક સ્થળો સાથે જોડાયેલું છે.
પાલનપુરમાં કુલ દરાથી વધુ મનોહર જિન પ્રાસાદો શોભી રહ્યા છે. વિદ્યમાન ધર્મશાળા ભોજનશાળા ઉપાશ્રયો , પાઠશાળાઓ અને જ્ઞાનભંડારો આ નગરની ધાર્મિકતાનો પ્રબળ પુરાવો છે. પાલનપુરના જૈનો વર્તમાનમાં પણ શ્રીમંત અને ઉદાર ગણાય છે.
શ્રી પલ્લવિયા પાર્શ્વનાથનું આ મનોહર જિનાલય રેલવે સ્ટેશનથી ૧ કી.મી દૂર છે.