Home > Know Jainism > 34 . શ્રી આનંદા પાર્શ્વનાથ
Jainonline.org
• 17-Jun-2025
34 . શ્રી આનંદા પાર્શ્વનાથ
29

પ્રથમ નજરે પ્રતિમા દર્શન_
ઉંબરી ગામ મધ્યે એક મનોહર ઘુંમટબંધ જિનાલયમાં શ્વેત પાષાણના શ્રી આનંદા પાર્શ્વનાથ પદ્માસને બિરાજે છે. ૧૧ ઈચ ઊંચા આ પ્રતિમાજીના મસ્તકે સાત મનોહર ફણા છે. ફણા સહિત ૧૩ ઈંચ ઊંચા આ પ્રતિમાજી ૯ ઈંચ પહોળાં છે. દર્શકના અંતરમાં આનંદની ભરતી પ્રગટાવતી આ પરમાત્માની મનોરમ્ય મુદ્રા દર્શનીય છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
શ્રી આનંદા પાર્શ્વ પ્રભુના આ અજ્ઞાત તીર્થના ઈતિહાસને જાણવા કોઈ વિશેષ પ્રમાણભૂત સાધનો પ્રાપ્ત થતાં નથી. આ પ્રતિમાજીના નામકરણની ભીતરમાં પ્રતિમાજીના પ્રભાવ કે ચમત્કારની કઈ ઘટના સંકળાયેલી છે. તે પણ જાણી શકાયું નથી. પારાવાર વ્યાધિઓ વચ્ચે જીવતો સંસારી જીવ પણ આ પરમાત્માના મનોહર મુખારવિંદને નિરખતાં શોકની છાયામાંથી મુકત બની પરમ આનંદની અનુભૂતિ કરે છે. ભવ્ય જીવોના હ્રદય-પ્રાંગણમાં આનંદની સુવાસ મહેંકાવતા આ પાર્શ્વપ્રભુનું આનંદા નામ સાર્થક છે.
બનાસકાંઠા જિલ્લાનું આ તીર્થ બહુ પ્રાચીન જણાતું નથી. પણ શ્રી આનંદા પાર્શ્વનાથનાં પ્રતિમાજી વધુ પ્રાચીન હોવાનું માનવું સુસંગત છે. અનેક પ્રાચીન રચનાઓમાં શ્રી પાર્શ્વપ્રભુના 'આનંદા' નામનો ઉલ્લેખ મળે છે.
ઉંબરી ગામમાં વિ. સં. ૧૯૦૪ની સાલમાં આ ઘુંમટબંધ જિનાલય બંધાવી પરમાત્માને ગાદીનશીન કરવામાં આવ્યા ત્યાર બાદ સં. ૨૦૧૪ની સાલમાં તે જિનાલયનો જીર્ણોદ્વાર થયો. અને સં. ૨૦૧૪ના મહા વદ ૭ના શુભ દિને પૂ આ શ્રી જંબુસૂરીશ્વરજી મ.સા.ના પુનિત હસ્તે આ જીર્ણોધૃત જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી
પ્રાચીનતાના પુરાવા–
સંવત ૧૬૫૫માં રચાયેલી શ્રી પ્રેમવિજય કૃત “૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા"માં શ્રી આનંદા પાર્શ્વનાથનું નામ ગ્રથિત થયેલું છે.
સંવત ૧૬૫૬ના આસો વદ-૯ને મંગળવારે કવિ નયસુંદરે રચેલા “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ'માં પણ આ પાર્શ્વપ્રભુનો નામ નિર્દેશ થયેલો છે. સં. ૧૭૨૧માં રચાયેલી શ્રી મેઘ વિજય ઉપાધ્યાય કૃત ''શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં પણ આ નામ ગ્રથિત થયેલું છે.
અઢારમી સદીમાં રચાયેલી શ્રી કલ્યાણ સાગર કૃત " શ્રી પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી"માં પણ શ્રી આનંદા પાર્શ્વનાથનું નામ-સ્મરણ કરવામાં આવ્યું છે.
સંવત ૧૮૮૧ના ફા.વ. રના દિને કવિ ઉત્તમ વિજયે ગાયેલા “શ્રી પાર્શ્વપ્રભુનાં ૧૦૮ નામના છંદ''માં પણ શ્રી આનંદા પાર્શ્વપ્રભુને પ્રણામ કરવામાં આવ્યા છે.
પ્રભુનાં ધામ અનેક—
શ્રી આનંદા પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ બનાસકાંઠા જિલ્લાના ઉંબરી ગામમાં આવેલું છે. તદુપરાંત શાન્તાક્રુઝ (મુંબઈ)ના શ્રી કલિકુંડ પાર્શ્વનાથના જિનાલયની ભમતીના એક ગોખલામાં પણ શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
શ્રી આનંદા પાર્શ્વનાથ પ્રભુનું ધામ ઉંબરી પાટણથી રાધનપુરના રસ્તે આવેલું છે. બનાસ કાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું આ ગામ ૫,૦૦૦ની જનસંખ્યા ધરાવે છે. જૈનોનાં ૧૭ઘર ખુલ્લાં છે તથા એક ઉપાશ્રય પણ છે. પાટણ ભિલડિયાજી. રાધનપુર આદિ તીર્થો નિકટવર્તી છે.