Home > Know Jainism > 35 . શ્રી ચારૂપ પાર્શ્વનાથ
Jainonline.org
• 18-Jun-2025
35 . શ્રી ચારૂપ પાર્શ્વનાથ
38

પ્રથમ નજરે પ્રતિમા દર્શન—
ચારૂપ તીર્થના શિખરબંધી જિનાલયમાં પદ્માસને બિરાજેલા પાષાણના શ્યામલ પાર્શ્વનાથજી પર દૃષ્ટિ પડતાં જ નયનો તેના અનુપમ રૂપનું પાન કરવામાં ગરકાવ બની જાય છે. મુખમંડલ પર નિરાગિતાનું ગાંભીર્ય નીતરે છે. અને ઉદરની કૃશતા નિહાળીને દર્શનાર્થીનું હૈયું એ મહાતપસ્વીના ચરણોમાં ઝુકી પડે છે. દર્શકના હૃદયમાં ભાવનાની રમણીય સૃષ્ટિ ખડી કરી દેતી આ પ્રતિમા પ્રાચીન શિલ્પકળાનો બેજોડ નમૂનો છે. મસ્તક પર આચ્છાદિત થયેલી મોહક સાત ફણાઓ પરમાત્માના ખભા સુધી પથરાઈને શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ફણા સહિત ૩૭ ઈંચ ઊંચાં આ પ્રતિમાજીની પહોળાઈ ૪૩ ઈંચ છે. પ્રતિમાજી સહેજ ખંડિત છે.
અતીતના ઊંડાણમાં એક ડૂબકી—
કાળના કેટલાય થરો ઓળંગીને ગત ચોવીસીના ૧૬મા તીર્થંકર શ્રી નમિનાથના શાસનકાળમાં પહોંચીએ ત્યારે ત્યાં શ્રી ચારૂપ પાર્શ્વપ્રભુનું ઉદગમ સ્થાન પ્રાપ્ત થાય છે. શ્રી નમિનાથ તીર્થંકરના શાસનને ૨૨૨૨ વર્ષોનાં વહાણાં વીતી ગયાં હતાં ત્યારે ગૌડ દેશના અષાઢી નામના શ્રાવકે ત્રણ મનોહર પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. ચારૂપમાં બિરાજીને દર્શનાર્થીના હ્રદયને ડોલાવી દેતા શ્રી પાર્શ્વનાથના મનમોહક પ્રતિમાજી આ અષાઢી શ્રાવકે આપેલાં ત્રણ પ્રતિમાના વારસામાંથી એક છે.
“અષાઢી શ્રાવક શ્રી નમિનાથ ભગવાનના શાસન કાળમાં થયા” એ હકીકત એક દ્વિધાનું સર્જન કરે છે. “આ નમિનાથ તે આ ચોવીશીના ૨૧મા તીર્થંકર ન હોઈ શકે?” બેમાંથી કયા નમિનાથના શાસનકાળમાં અષાઢી શ્રાવક થયા તે પ્રશ્નનો સાચો ઉત્તર કેવલી ભગવંત વિના કોણ આપે?
કાળની કિતાબનાં પાનાં ફરતાં ગયાં. એકદા કાંતિનગરના ધન શ્રેષ્ઠીનું વહાણ અચાનક સમુદ્રમાં થંભી ગયું આ કોઈ દૈવી ચેષ્ટા છે. તેમ જાણીને શ્રેષ્ઠીએ પૂજા દ્વારા દેવને પ્રત્યક્ષ કર્યો. તે ભૂમિમાં ગુપ્તપણે રહેલાં ત્રણ મનોહર જિનબિંબોના પ્રગટીકરણને ઝંખતા દેવાત્માની આ ચેષ્ટા સપ્રયોજન હતી. દૈવી સહાયથી ધન શ્રેષ્ઠીએ ત્રણ બિંબોને બહાર આણ્યાં.
આ ત્રણમાંના એક પ્રતિમાજીને ચારૂપ ગામમાં પઘરાવીને તીર્થની પ્રતિષ્ઠા કરી. બીજા અરિષ્ટનેમિ પ્રભુને પાટણમાં આંબલીના ઝાડ નીચે જિનાલયમાં પધરાવ્યાં અને ત્રીજી શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમાને થાંભણા ગામમાં સેઢી નદીના કિનારે ઝાડ ઝાંખરાવાળી ભૂમિમાં રાખી.
ચારૂપમાં આ નયન મનોહર જિનબિંબને કોણે પ્રતિષ્ઠિત કર્યાં? આ પ્રશ્ન નિરુત્તર રહે છે. આ જિનાલયમાં પડેલા એક ખંડિત પરિકરના લેખ પરથી જણાય છે કે, નાગેન્દ્રગચ્છીય શ્રી શીલગુણસૂરિના સંતાનીય શ્રી દેવચંદ્રસૂરિએ ચારૂપ મહાતીર્થમાં શ્રી પાર્શ્વનાથના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી. આ લેખ ૧૪મી સદીનો જણાય છે. અને તેમાં કરેલો ચારૂપનો ‘મહાતીર્થ” તરીકેનો ઉલ્લેખ નોંધપાત્ર છે.
આબુના લૂણવસહિ મંદિરના સં. ૧૨૯૬માં લખાયેલા એક શિલાલેખમાં નાગોર નિવાસી શ્રેષ્ઠી દેવચંદ્ર કરેલા મંદિર નિર્માણના કાર્યોની નોંધ આપી છે. આ નોંધ અનુસાર શ્રેષ્ઠી દેવચંદ્ર અણહિલ્લપુર પાટણના નિકટસ્થાથી ચારૂપ ગામમાં ગૂઢમંડપ અને છ ચોકીથી યુકત એક ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યો હતો. અને તેમાં શ્રીઆદિનાથ ભગવાનના મનોહર બિંબની પ્રતિષ્ઠા કરી હતી.
સં. ૧૪૬૬માં મુનિસુંદર સૂરિએ રચેલી 'ગુર્વાવલી'માં ૧૪મી સદીમાં થયેલા પેથડ શ્રેષ્ઠીએ બંધાવેલા ૮૪ જિનાલયોની નોંધ આપી છે. આ નોંધ અનુસાર પેથડ શ્રેષ્ઠીએ ચારૂપમાં પણ શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર બંધાવ્યું હતું. પણ વર્તમાનમાં આ બેમાંથી એક પણ જિનાલય વિધમાન નથી.
ચારૂપ ગામમાં ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહે વીરાચાર્ય નામના એક પ્રભાવક જૈનાચાર્યનો ભવ્ય સ્વાગત મહોત્સવ કર્યો હતો તેથી ૧૨મા સૈકા પહેલાં પણ ચારૂપ ગામમાં જૈનોનું વર્ચસ્વ હતું. એવું અનુમાન અસ્થાને નથી.
ઠેર ઠેર મળતા ઉલ્લેખો પરથી એટલું તો સ્પષ્ટ છે કે, ચારૂપનું શ્રી પાર્શ્વનાથ તીર્થ લગભગ સોલંકી કાળથી આજ સુધી પ્રસિદ્ધ રહ્યું છે. ચૌદમા સૈકા પછીના ઉલ્લેખોમાં શ્રી આદિનાથ અને શાંતિનાથનાં મંદિરો સંબંધી કોઈ નિર્દેશ મળતો નથી. એ મંદિરો ચારૂપમાં કર્ય સ્થળે હતાં અને એનું શું થયું એ જાણવાનું કોઈ સાધન રહયું નથી.
અઢારમા સૈકા પછી આ તીર્થનાં વળતાં પાણી થયાં. શૈવોએ આ મંદિર પર કબજો જમાવ્યો મહાદેવ પાર્વતી અને ગણેશની મૂર્તિઓને મંદિરમાં દાખલ કરી. સં. ૧૯૩૦ આસપાસ પાટણના જૈન સંઘનું ધ્યાન દોરાયું. ખૂબ પ્રયત્નોને અંતે સંધે મંદિરનો કબજો લીધો. સં. ૧૯૩૮માં જિનાલયનો જીર્ણોદ્વાર કરાવ્યો સં. ૧૯૫૬માં મોટી ધર્મશાળા મંદિરને વિશાળ બનાવવા મંદિરનો ફરી જીર્ણોદ્વાર થયો. પણ મૂળનાયકની ગાદી કાયમ રાખી. મૂળનાયકની જમણી બાજુએ શ્રી શીતલનાથ ભગવાનની સં. ૧૯૮૪ના જેઠ સુદ પના રોજ પ્રતિષ્ઠા કરી.
અહીં કારતક વદ ૧ના દિવસે મોટો મેળો ભરાય છે. આખું પાટણ દર્શનાર્થે ઊમટે છે. અને ગામેગામથી યાત્રાર્થીઓ પધારે છે. જેઠ સુદ ૫નો પણ અહીં ખૂબ મહિમા છે.
પ્રાચીનતાનાં પુરાવા—
ચારૂપ તીર્થની પ્રાચીનતા અને ખ્યાતિના પ્રબળ પુરાવા ઠેરઠેર પ્રાપ્ત થાય છે.
આબુના જિનાલયમાં રહેલા સં. ૧૨૯૬ની સાલના એક શિલાલેખમાં ચારૂપ ગામનો ઉલ્લેખ છે.
सं. १३३४મા શ્રી પ્રભાચંદ્રાચાયે રચેલા "प्रभावक चरित" નામના ગ્રંથમાં આ તીર્થની ઉત્પત્તિનો ઈતિહાસ મળે છે.
૧૪મી સદીના પૂર્વાર્ધમાં શ્રી ધર્મઘોષસૂરિએ સંસ્કૃત ભાષામાં રચેલા “શ્રી પાર્શ્વનાથ સ્તવન"ના સાત વિભકિતની સુંદર રચનાવાળા પાંચમા શ્લોકમાં ચારૂપમાં રહેલા પાર્શ્વનાથ ભગવંતની સ્તવના કરેલી છે.
૧૪મા સૈકામાં શ્રી તિલકસૂરિએ રચેલી “ચૈત્ય પરિપાટી”માં શ્રી વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલા “તીર્થયાત્રા સ્તવન”માં અને શ્રી જયશેખરસૂરિએ રચેલા 'શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં ચારૂપના પાર્શ્વનાથ ભગવંતનો ઉલ્લેખ છે.
૧૪મી સદીના ઉત્તરાર્ધમાં શ્રી જિનપ્રભસૂરિએ સ્વરચિત "विविध तीर्थ कल्प"ના "फलवृद्धि पाश्वनाथकल्प" માં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થોની નામાવલી આપી છે. તેમાં શ્રી ચારૂપ પાર્શ્વનાથ ભગવાનના નામનો પણ સમાવેશ થાય છે.
શ્રી મુનિસુન્દરસૂરિએ સં. ૧૪૬૬માં રચેલી “ગુર્વાવલી’’માં ચારૂપ ગામમાં પેથડ શ્રેષ્ઠીએ શાંતિનાથ ભગવાનનું જિનાલય કરાવ્યાનો નિર્દેશ છે.
શ્રી મેરૂકીર્તિએ ૧૫મી સદીમાં રચેલી "શાશ્વત બંધાવી. તીર્થમાલા''માં ચારૂપ તીર્થનો પણ ઉલ્લેખ છે.
સં. ૧૬૫૬માં કવિ નયસુંદરે રચેલા “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ'માં ચારૂપનો પણ નામનિર્દેશ જોવા મળે છે.
સં. ૧૬૬૭માં શ્રી શાંતિકુશલે રચેલા “શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન'માં તેમણે ચારૂપના પાર્શ્વનાથ પ્રભુને વંદના કરી છે.
સં. ૧૬૮૯ના પોષવદ ૧૦ના દિને મુનિ શ્રી ગુણવિજ્યના શિષ્યે રચેલા “૧૦૮ નામ ગર્ભિત પાર્શ્વનાથ સ્તવન”માં શ્રી ચારૂપ પાર્શ્વનાથ પ્રભુને પણ સ્તવ્યા છે.
સં. ૧૭૨૧માં શ્રી મેઘવિજય ઉપાધ્યાયે ગૂંથેલી ‘શ્રી પાર્શ્વનાથ નામમાલા'માં તેમણે શ્રી ચારૂપ પાર્શ્વનાથના નામને પણ ગૂંથ્થું છે.
સં.૧૭૪૬માં શીલવિજયે રચેલી “તીર્થમાલા”માં પણ આ તીર્થનો ઉલ્લેખ છે.
૧૮મી સદીમાં કવિવર જ્ઞાનવિમલે રચેલા ‘૧૩૫ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં પણ ચારૂપ પાર્શ્વનાથનો ઉલ્લેખ છે.
પ્રભુનાં ઘામ અનેક—
શ્યામવર્ણના શ્રી ચારૂપ પાર્શ્વનાથ શ્રી શામળા પાર્શ્વનાથ તરીકે વધુ ઓળખાય છે. શ્રી શામળા પાર્શ્વનાથનાં મંદિર અનેક જગ્યાએ આવેલાં છે. સમવસરણમંદિર, પાલીતાણામાં આ નામનાં પ્રતિમાજી છે.
પ્રભુનાં ઘામની પિછાણ—
ચારૂપ તીર્થ પાટણથી ૧૦ કી.મી. દૂર આવેલું છે. કાકોશી-મેત્રાણા લાઈન પરનું ફલેગ સ્ટેશન છે. જિનાલયથી રેલવે સ્ટેશન ૧ કી.મી. દૂર છે. અત્રેની ધર્મશાળા અને ભોજન શાળામાં યાત્રિકોની સુંદર સગવડતા સચવાય છે.