વંદન સ્ટોરી - નેમિનાથ પ્રભુને સાચું વંદન કોણે કર્યું? શામ્બે કે પાલકે??
Home > Magazine > Gujarati Magazine > > વંદન સ્ટોરી

વંદન વાર્તા
22મા તીર્થંકર શ્રી નેમિનાથ પરમાત્મા વિહાર કરતાં-કરતાં દ્વારિકા નગરીમાં પધાર્યા છે.
વાસુદેવ શ્રીકૃષ્ણ સપરિવાર રોજ પરમાત્મા નેમિનાથને વંદન કરવા જાય છે અને દેશના સાંભળે છે.
એકવાર શ્રીકૃષ્ણ પોતાના દીકરા શાંબ અને પાલકને કહે છે :
કાલે સવારે સહુથી પહેલા નેમિનાથ પરમાત્માને જે વંદન કરશે, તેને હું શ્રેષ્ઠ ઘોડો ભેટ આપીશ.
પાલકના મનમાં ઘોડો મેળવવાની લાલચ જાગી, તેથી તે સવારે વહેલો ઊઠી જાય છે, હજી તો સૂર્ય ઊગે તે પહેલાં જ ઘરેથી નીકળી નેમિનાથ પરમાત્મા પાસે પહોંચી જાય છે ને પરમાત્માને વંદન કરી લે છે.
‘હવે તો ઘોડો મારો જ!’ તેવા વિશ્વાસ સાથે તે ઘરે પાછો આવે છે.
આ બાજુ, શાંબ જ્યારે ઊઠે છે, ત્યારે ખબર પડે છે કે, પાલક તો નેમિનાથ ભગવાનને વંદન કરવા નીકળી ગયો છે. શાંબ ઘોડાની લાલચમાં ફસાતો નથી, પરંતુ ‘સૂર્યોદય પહેલાં ઘરેથી નીકળી વંદન કરવા ન જવાય.’ તેવી પરમાત્માની આજ્ઞાનું પાલન કરે છે અને પોતાના રૂમમાં જ, નેમિનાથ પરમાત્માની દિશા તરફ 7-8 ડગલાં ચાલી, નમુત્થુણં સૂત્ર બોલીને પરમાત્માને ભાવથી વંદન કરે છે.
'શાંબ અને પાલકમાં વિજેતા કોને ગણવો?’
ભગવાનની આજ્ઞા તોડીને સમવસરણમાં રૂબરૂ વંદન કરવા જનાર પાલકને કે પછી ભગવાનની આજ્ઞા પાળીને પોતાના રૂમમાંથી જ વંદન કરનાર શાંબને?
મૂંઝાયેલા શ્રીકૃષ્ણ આ પ્રશ્ન નેમિનાથ પરમાત્માને પૂછે છે. પરમાત્મા કહે છે : પાલકના વંદન દ્રવ્યવંદન છે. સાચા ભાવવંદન તો શાંબના છે. કારણ કે તેણે આજ્ઞા મુજબ વંદન કર્યા છે.
બાળકો! સાચું વંદન કયું?
પરમાત્માની આજ્ઞાનું પાલન, તે જ પરમાત્માનું ખરું વંદન!
વધુ વાંચવા અને જાણવા માટે તથા આવી જ બીજી પણ રોચક વાતો માટે ખાસ આજે જ સબ્સ્ક્રાઈબ કરો સિદ્ધાંત દિવાકર મેગેઝીન...
Additional Info
Number of pages : 20
Weight : 150gms